
અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વટવા વોર્ડમાં શિડયુલ મુજબના કામદારો ન હોવાથી, ગંદકી ન થાય તેમજ રોગચાળો ન ફેલાય તે માટે સફાઈની કામગીરી ઉન્નતિ નામની સંસ્થાને સોંપવામાં આવી હતી.
જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે સફાઈ ની કામગીરી કરતી સંસ્થાઓ દ્વારા સફાઈ કામદારો સાથે જે કામગીરી કરાવવામાં આવી રહી છે. તેમાં કામદારોની સંખ્યા વધુ બતાવી, ઓછા કામદારો અથવા કોર્પો. ના કામદારો સાથે કામગીરી કરાવી, હાજરી પત્રકમાં ભૂતિયા કામદારોની હાજરી પૂરી, મહિને લાખો અને વર્ષે કરોડો રૂપિયા કોર્પોરેશનની તિજોરીમાંથી જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠથી મંડળીઓ ઘરભેગા કરી રહી હોવાની માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા વટવા વોર્ડમાં આરટીઆઇના કાયદાનો ઉપયોગ કરી માહિતી એકત્રિત કરાતા ચોકાવનારી માહિતી મળેલ છે.

ઉન્નતી નામની મંડળી દ્વારા જે હાજરી પત્રક રજૂ કરવામાં આવ્યું છે તેમાં તારીખ, સવાર અને સાંજે કામ કરેલ કામદારોના નામની સામે હાજરી પુરેલ છે. પરંતુ આ હાજરી પત્રકમાં આ કામદારોએ કઈ જગ્યા એ કામગીરી કરી છે તે સ્થળ કે જગ્યાનો ઉલ્લેખ કરેલ હોય તેવું જણાઈ આવતું નથી ! તેમ છતાં વોર્ડના એસ.આઇ. અને પી.એચ.એસ. દ્વારા તેને માન્ય ગણી બિલો મંજૂર કરાવતા નજરે પડી રહ્યા છે.
બીજી એ પણ હકીકત ધ્યાને આવેલ છે કે મંડળીના પ્રમુખ દ્વારા કામગીરી કરવાની શરતો બાબતે જે બાંહેધરી આપેલ છે તે પત્ર માં તારીખ દર્શાવેલ નથી ! તેમજ આ મંડળીને વટવા વોર્ડની બિટો ની કામગીરી આપેલ છે અને તેમાં લાંભા વોર્ડના સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવે છે.
કહેવાય છે કે વોર્ડમાં જવાબદાર અધિકારીઓ અને મંડળીઓના પ્રમુખોની ભ્રષ્ટાચારીક નીતિથી કોર્પોરેશનના સફાઈ કામદારોની સંખ્યા બીટ માં જરૂરિયાત પૂરતી હોવા છતાં ! કામદારોની અછત હોવાનું જણાવી..ઓછા કામદારોની જરૂરિયાત હોવા છતાં વધુ કામદારોની જરૂરિયાત ઊભી કરી… ત્યાર બાદ ફક્ત કાગળ ઉપર કામગીરી દર્શાવી ! કોર્પોરેશનની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં જ્યાં જ્યાં મંડળી ઓને સફાઈની કામગીરી સોંપવામાં આવે છે ત્યારે મોટાભાગની જગ્યાઓ ઉપર કોર્પોરેશનના સફાઈ કામદારો સાથે કામગીરી કરાવીને.. મંડળીઓના સફાઈ કામદારોએ કામગીરી કરી છે, તેવા ભૂતિયા કામદારોના નામોની હાજરી પૂરી ! ગેરરીતી આચરવામાં આવી રહી હોવાનું જાગૃત નાગરિકોને ખબર છે તો પછી જવાબદાર અધિકારીઓને આ વાતની ખબર ના હોય તે કેવી રીતે માની શકાય..?
માટે અમદાવાદ મહાનગર પાલિકામાં જે જે જગ્યાઓ ઉપર મંડળીઓને સફાઈની કામગીરી સોંપવામાં આવી છે તે તમામ મંડળીઓના સવાર, બપોર અને રાત્રી સમયના કામદારોના હાજર રહેલ તમામ સ્થળ પરના ફોટોગ્રાફ દરરોજના માંગવામાં આવે અને વિજિલન્સ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવાના આદેશ મ્યું. કમિશ્નર દ્વારા આપવામાં આવે તો કદાચ પ્રજાની પરસેવાની ટેક્સ રૂપી કમાણીનો જે દુર્વ્યય થાય છે તે અટકશે તેવું માની શકાય..