જન સમૃદ્ધિ ન્યૂઝ, વિષ્ણુ પ્રજાપતિ
ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 12થી 13 માર્ચની સવારના 8:30 વાગ્યા સુધી શહેરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસના હવામાન અનુમાન મુજબ શહેરમાં ઉનાળાની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 12 માર્ચથી 13 માર્ચની સવાર સુધી શહેરમાં મહત્તમ તાપમાન આશરે 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન અનુસાર, 13 માર્ચથી 19 માર્ચ 2026 દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 37થી 40 ડિગ્રી વચ્ચે અને લઘુત્તમ તાપમાન 22થી 24 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ગરમી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
કાળઝાળ ગરમીથી બચવા નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે:
શું કરવું (Dos):
- તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું.
- હલકા રંગના, ઢીલા અને સુતરાઉ કપડા પહેરવા.
- બહાર નીકળતી વખતે ચશ્મા,છત્રી, ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો.
- શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી અથવા ORSનું સેવન કરવું.
શું ન કરવું (Don’ts):
- બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
- વધુ પડતી ગરમીમાં સખત શારીરિક શ્રમ કરવાનું ટાળવું.
- ચા,કૉફી અને કાર્બોનેટેડ પીણાં જેવા પીણાંનું સેવન ન કરવું, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે.
- વાસી ખોરાક અથવા વધુ પડતા પ્રોટીનવાળો ખોરાક લેવાનું ટાળવું.
- નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને ગરમીમાં બહાર લઈ જવાનું ટાળવું.
