અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતું (ઉત્તર ઝોન) દ્વારા તા.૨૯/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ વાગ્યાથી બાપુનગર વોર્ડમાં મલેકસાબાન તળાવની નજીક, એસ.પી. ઓફિસના પાછળના ભાગે અ.મ્યુ.કો.ની માલિકીની જમીન પર આવેલા “અકબરનગરના છાપરા” તરીકે ઓળખાતા આશરે ૪૫૦(ચારસો પચાસ) કાચા-પાકા રહેણાક તથા કોમર્શિયલ બિનઅધિકૃત બાંધકામો દબાણ રાહે દૂર કરવાની વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરીમાં ઉત્તર ઝોનના સાથે પૂર્વ ઝોન, મધ્ય ઝોન, યુ.સી.ડી. વિભાગ, ફાયર વિભાગ, હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ સહિતના કુલ ૮૦૦(આઠસો) કર્મચારીઓની ૪(ચાર) ટીમો જોડાઈ હતી. કામગીરી દરમિયાન ૦૫(પાંચ) દબાણ વાન, ૯(નવ) હીટાચી મશીન, ૫(પાંચ) જે.સી.બી. મશીન, ૪૦(ચાલીસ) ડમ્પર ટ્રક, સલામતી માટે ૨(બે) ફાયર ટેન્ડર વાન અને મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવેલ. આ કામગીરી સવારના ૦૯:૦૦ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી અને કુલ ૧૫,૨૦૦ (પંદર હજાર બસો) ચો.મી. જમીન દબાણમુક્ત કરવામાં આવી.
સદર જમીન અંગે અગાઉ સને ૨૦૧૧માં નોટિસ આપવામાં આવી હતી તથા વર્ષ ૨૦૧૪માં ૨૨૧ (બસો એકવીસ) અસરગ્રસ્તોને વટવા વિસ્તારમાં JnNURM યોજના અંતર્ગત આવાસ ફાળવવામાં આવ્યા હતા. હાલમાં દબાણમુક્ત કરાયેલા વિસ્તારમાંથી ડેબ્રીઝ હટાવવાની તથા કંપાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલુ છે. આ જગ્યામાં જાહેર જનતાના હિતમાં વિકાસાત્મક કામગીરી હાથ ધરવામાં આવશે.