

અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મહાનગર પાલિકામાં ગુરુવારે તા. ૮-૫-૨૫ ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવાયો કે ચંડોળા તળાવમાં મ્યુનિ. દ્વારા ૪ હજાર ઝૂંપડાઓ તોડી ૧.૫ લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કર્યા પછી, હવે ચંડોળા તળાવમાં ઝૂંપડા બાંધીને રહેતા નાગરિકોને ઈડબલ્યુએસ આવાસ (ગરીબ આવાસ) યોજના હેઠળના મકાનો ફાળવાશે. જેમાં ૩ લાખની મર્યાદામાં આ મકાનો ફાળવવા માટે જે ઝૂંપડા ધારક ૨૦૧૦ પહેલાના પુરાવા રજૂ કરશે તેમને જ આ વૈકલ્પિક વ્યવસ્થા અપાશે.

હવે જાગૃત પ્રજા સવાલ એ કરી રહી છે કે સરકારી જમીન ઉપર ગે.કા. વસવાટ ના કરી શકાય, તે કાયદેસર નો ગુનો બને છે, સુપ્રીમ કોર્ટે પણ જણાવેલ છે કે સરકારી જમીન ઉપર ગે.કા. વસવાટ કરનારને પ્રોટેક્શન આપી શકાય નહિ..! તો પછી સ્ટેન્ડિંગ કમિટીમાં કયા આધારે નિર્ણય લેવાયો. ! શું એક ગરીબ અને અજ્ઞાન છે માટે લાગણી બતાવાઈ રહી છે ! કે પછી વોટ બેંક તરફ વિચારાઈ રહ્યું છે ! તે સમજાતું નથી..! સાથે સાથે ચર્ચાનો વિષય બની રહ્યું છે..

જો તંત્ર દ્વારા આ રીતે લાગણી જ બતાવવાની હોય ! તો પછી અમ. મ્યુ. કોર્પો. માં મીટીંગો, ઠરાવો, પરિપત્રો, કચેરી આદેશ આ બધું નાટક શા માટે ? શા માટે પ્રજાના ટેક્સના પરસેવાની કમાણીનો દુર્વ્યય કરી રહ્યા છો ? જો તમારે કોર્ટ ના હુકમો અને કાયદાનો અમલ જ નથી કરવો ! તો આવા નાટક કરવાનો કોઈ અર્થ ન હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

બીજું એ કે વર્ષોથી સરકારી જમીનનો કબજો હોવાનું રેકર્ડ ઉપર હોવા છતાં ત્યાં લાખો ચો.મી. જગ્યામાં એક બે નહીં પરંતુ આખે આખી ગે.કા. વસવાટ કેવી રીતે ઊભી થઈ શકી ? કોર્પોરેશનમાં રાજકીય પાંખ અને વહીવટી પાંખ શું શોભાના ગાઠિયા સમાન હોય છે ! શા માટે આ રાજકીય અને વહીવટી પાંખનાં જવાબદાર નેતાઓ અને અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાના નિર્ણયો નથી લેવાતા ? શું રાજકીય નેતાઓની ભલામણથી ઠેર ઠેર ગે.કા. જંગલો ઊભા થઈ ગયા છે અને થઈ રહ્યા છે માટે આવા નિર્ણયો લેવાતા નથી ?

જન સમૃદ્ધિ ન્યૂઝ ને ગરીબોને આવાસ મળે તેનો કોઈ વાંધો નથી, પરંતુ કાયદો હોવા છતાં રાજકીય નેતાઓ પોતાને સર્વોપરી ગણી રહ્યા હોય ! અને તેમાં પણ મ્યુનિ. કમિશ્નર કક્ષાના જવાબદાર અધિકારી હા માં હા મિલાવી રહ્યા હોય.. તેવી કાર્યપધ્ધતિ જ્યારે અપનાવવામાં આવી રહી હોય ત્યારે તે સિસ્ટમ સામે અનેક સવાલો ઉભા થાય, ત્યારે તંત્રને અરીસો બતાવવાની ફરજ પડે છે.

અમદાવાદ મહાનગર પાલિકા ને જો લાગણી જ બતાવવી હોય તો અમદાવાદમાં અનેક ગરીબો રોડ ઉપર પરિવાર સાથે વસવાટ કરીને પોતાનું જીવન વિતાવી રહ્યા છે, ઉપર આભ અને નીચે ધરતી સિવાય તેઓને કોઈનો આશરો નથી, બિચારા નસીબથી પાંગળા હોય છે. જો તમારે દયાવાન જ બનવું હોય તો એક સરખો ન્યાય શા માટે કરતા નથી ? આવા મનગડત નિર્ણયો લેતા પહેલા વિચાર કરવો પડે ? આ પ્રકારની ચર્ચા જાગૃત નાગરિકોમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
ખેર જન સમૃધ્ધી ન્યૂઝને ગરીબોને આવાસ આપે છે તેની સામે વાંધો નથી, પરંતુ કાર્યરત સિસ્ટમની ખામી સામે જે સવાલો ઉઠી રહ્યા છે તેને સરકાર સુધી પહોચાડવાનો નાનો પ્રયાસ છે…