જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન દર ગુરુવારે એએમસી ખાતે કરવામાં આવે છે. જેમાં એએમસી દ્વારા શહેરનાં વિકાસ અને પ્રગતિનાં કાર્યો સંબંધિત ચર્ચા કરવામાં આવે છે. જે વિશે સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ મિડીયા સમક્ષ મહત્વનાં મુદ્દાઓની ચર્ચા કરી હતી. જેમાં આ વખતે મહિલાઓ માટે એએમસીમાં આવનારી ભરતીમાં મહિલા અનામત વિશેની વાતચીત કરતાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં આવનારા સમયમાં જે પણ ભરતી કરવામાં આવશે તેમાં 33% મહિલા અનામતની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે પછીની ભરતીની એડવર્ટાઇઝમેન્ટમાં મહિલાઓને પ્રાધાન્ય મળે તે માટે 33% મહિલા અનામત માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
આ ઉપરાંત ચેરમેનશ્રી દેવાંગ દાણીએ જણાવ્યું કે, આ વખતની સ્ટેન્ડિંગ કમિટીમાં અંદાજીત 216 કરોડનાં વિકાસનાં કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં હાથીજણમાં યુએચસી, એસએચસીનો સમાવેશ કરવામાં આવશે. તેમજ તળાવો, વોટર, ડ્રેનેજ અને ચાર બ્રીજોની નીચેનાં બેરિંગોને બદલવાની મંજૂરી અપાઇ છે. વધુમાં ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અગાઉ એએમસીએ ટ્રાફિક પોલિસ સાથે સંકલન કરીને ટ્રાફિક પોલિસનાં અભિપ્રાયો મંગાવ્યા હતાં. જેમાં 85 જેટલા લેફ્ટ ટર્નને ખુલ્લા કરવા માટેનાં સૂચનો ટ્રાફિક પોલિસ તરફથી આવ્યાં હતાં. તે અંતર્ગત 55 જેટલાં લેફ્ટ ટર્નોને ખુલ્લા કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત દાણાપીઠ ફાયર સ્ટેશન અને પાર્કિંગને પણ ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધીમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. જે માટેની કેટલીક પરવાનગી લેવાની બાકી હોઇ અને તેની ઓનલાઇન પ્રક્રિયાની પ્રક્રિયાની પરવાનગી મળી જતાં જ ટૂંક સમયમાં મધ્યઝોનનાં આ ફાયર સ્ટેશન અને પાર્કિંગનું લોકાર્પણ કરવામાં આવશે, જેથી આ વિસ્તારનાં લોકોને પણ પાર્કિંગ તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. તેમજ ખારીકટ કેનાલનાં પ્રાથમિક તબક્કાની વાત કરું તો તેનાં ફેઝ વનનો સાડા બાર કિલોમિટરનું કામ પૂર્ણતાને આરે છે. ફેઝ વનમાં 205 જેટલા પોલ ઊભા થઇ ગયા છે. તેમજ તેનાં બ્યૂટિફિકેશન માટેની કામગીરી આવનારા સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં લગભગ 1000 કરોડનો પ્રોજેક્ટ છે જે હાલ પૂર્ણતાને આરે છે અને ફેબ્રુઆરી મહિનાનાં અંતમાં ખારીકટ phase-1 પર રોડ-શો અને phase-2 નું ખાત મુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે કરવામાં આવશે.
વધુમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ જણાવ્યું કે, 13મી ફેબ્રુઆરીએ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે સ્કૂલ બોર્ડનાં ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત એએમટીએસની 9 જેટલી બસોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ વિશે વધુમાં વાત કરતાં સ્કૂલ બોર્ડનાં ચેરમેન શ્રી ડો. સુજય મહેતાએ જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષક સમિતિને 100 વર્ષ પૂરાં થતાં હોઇ તે નિમિત્તે સ્કૂલ બોર્ડને પોતાનું ભવન મળવા જઇ રહ્યું છે, જેને એએમસીનાં ઇજનેર વિભાગનાં એન્જીનિયર્સે તૈયાર કર્યું છે. કુલ 1,70,000 વિદ્યાર્થીઓ, 5000 શિક્ષકો, 8000 પેન્શનરો શિક્ષણનું કાર્ય કરે છે એમ કુલ 185000 લોકોને પોતાનું ભવન મળવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ દ્વારા અનુપમ શાળાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહકારથી આજે અમદાવાદમાં 80 ટકા જેટલી શાળાઓ સ્માર્ટ શાળાઓ (અનુપમ શાળાઓ) બની છે. આ ઉપરાંત એએમસી સ્કૂલ બોર્ડની 100 જેટલી શાળાઓને શતાબ્દી શાળાનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડની પ્રક્રિયાને બાહ્ય મૂલ્યાંકન કરાવીને એક ચોક્કસ મેરીટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં 5000 શિક્ષકોમાંથી 100 જેટલાં શિક્ષકોનો સદીનાં સિતારાનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં જે શાળાઓને શતાબ્દી શાળાનો એવોર્ડ મળ્યો છે તેમને રૂ.1,00,000 નો ચેક આપવામાં આવશે, જેને શાળાનાં વિવિધ શૈક્ષણિક કાર્યો પાછળ વાપરવામાં આવશે. તદ્દઉપરાંત સદીનાં સિતારા શિક્ષકોને રૂ. 21000ની ધન રાશિ ચેક દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત વધુ 15 સ્માર્ટ સ્કૂલોનું સ્કૂલ બોર્ડ અંતર્ગત રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામેનાં મેદાનમાં લોકાર્પણ કરવામાં આવશે.
વધુમાં શ્રી ડો. સુજય મહેતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ આધુનિક અને ટેકનોલોજી આધારિત શિક્ષણ સુવિધાઓ વિકસાવવા માટે દેશનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દર્શાવેલી દિશાનાં અનુસંધાનમાં અમદાવાદમાં શિક્ષણક્ષેત્રે સતત પ્રગતિ થઇ રહી છે.
