વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૦-૦૯-૨૫.
અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં મોટાભાગના જાહેર માહિતી અધિકારીઓ દ્વારા ગુજરાત માહિતી આયોગના અને કોર્ટના અમુક હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી રહ્યા હોવા બાબતે જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા મઘ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અપીલ અધિકારી અને ડે. એસ્ટેટ ઓફિસરને અનેક લેખિત ફરિયાદો અને અપીલમાં રજૂઆતો કરવામાં આવેલ છે તેમછતાં એક બીજાના મેળાપીપણામાં રહીને માહિતી છુપાવવાની એક મોડસ ઓપરેન્ડી અપનાવતા નજરે પડી હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.
કહેવાય છે કે માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ એ જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબદેહિતા લાવવા માટેનું અમોઘ શસ્ત્ર છે. પરંતુ ગુજરાત માહિતી આયોગને અનુભવે જાણવા મળેલ છે કે, કેટલાક અરજદારો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બહોળા પ્રમાણમાં અરજીઓ કરી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થયેલ “માહિતીનો અધિકાર” નો અતિ/અપ્રમાણસર ઉપયોગ કરવામાં આવે છે, જેથી જાહેર માહિતી અધિકારીઓ, પ્રથમ અપીલ અધિકારીઓ અને ગુજરાત માહિતી આયોગનો સમય બિનજરૂરી અને અપ્રમાણસર રીતે વપરાય છે અને માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ-૭(ક)ની જોગવાઇઓ અનુસાર જાહેર સત્તામંડળના સ્ત્રોતોનો અપ્રમાણસર ઉપયોગ થાય છે. આથી Genuine અરજદારોને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે.
નામ.સુપ્રિમકોર્ટ પણ માહિતી અધિકાર અધિનિયમના દુરુપયોગના કારણે આ અધિનિયમમાં પ્રજા વિશ્વાસ ગુમાવે તેવું ન થાય તે માટે અધિનિયમનો દુરુપયોગ અટકાવવા કાયદા મુજબ પગલા ભરવા જણાવેલ છે.
ગુજરાત માહિતી આયોગ દ્વારા બહોળા પ્રમાણમાં અરજીઓ કરતા કેટલાક અરજદારો બાબતમાં કેલેન્ડર વર્ષમાં કરવામાં આવતી અરજીઓની સંખ્યાની મર્યાદા નિર્ધારિત કરતા હુકમો કરવામાં આવેલ છે. આ હુકમોનાં સંદર્ભમાં, વિવિધ કક્ષાએ ગેરસમજથી ખોટું અર્થઘટન કરવામાં આવતું હોવાનું આયોગને ધ્યાન પર આવેલ છે.
તેથી રાજ્યના તમામ નાગરિક, તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવેલ છે કે, આયોગના આ પ્રકારના હુકમો માત્ર અને માત્ર સંબંધિત અરજદારને જ લાગુ પડે છે. આ હુકમો સીધે-સીધા અન્ય અરજદારોને લાગુ પડતા નથી કે રાજ્યના અન્ય કોઇ જાહેર માહિતી અધિકારી કે પ્રથમ અપીલ અધિકારીને અન્ય અરજદારોના કેસમાં લાગુ કરવાની સત્તા આપતા નથી.
અમુક હુકમો માત્ર સંબંધિત અરજદારોને લાગુ પડતા હોવાથી, આ હુકમો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કે અપીલ કરનાર અન્ય નાગરિક/અરજદારને લાગુ પાડવાના રહેતા નથી. આથી, આવા ચોક્ક્સ હુકમોને સંબંધિત ન હોય તેવા કોઇપણ નાગરિક/અરજદારની અરજી અથવા પ્રથમ અપીલનો નિર્ણય માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવા તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે. આ અંગે હવે પછી કોઇ અયોગ્ય કે મનઘડંત અર્થઘટન કરવામાં આવેલ હોવાનું જણાશે તો સંબંધિત અધિકારી વિરુદ્ધ શિસ્ત વિષયક સહિતની અન્ય તમામ કાર્યવાહી કરવાની આયોગને ફરજ પડશે, તેની નોંધ લેવા સર્વ સંબંધિતોને જણાવવામાં આવેલ છે.
ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આયોગના આ હુકમ પછી મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં કાયદાને સર્વોપરી ગણવાની જગ્યાએ…. કોઈ એક વ્યક્તિના આપેલા હુંકમોને સર્વોપરી ગણી…જે માહિતી છુપાવવાની ખોટી કાર્યપદ્ધત્તિ અને મોડસ ઓપરેન્ડી ચાલતી હતી, તે બંધ કરવામાં આવે છે કે કેમ ? તે જોવું રહ્યું….