
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મહાનગર પાલિકામાં ઉચ્ચ અધિકારી ઓની બેદરકારીને કારણે ભ્રષ્ટાચાર એટલી હદે વક્રી ગયો છે કે ઝોનના અધિકારી – કર્મચારીઓ કાયદાનો અને કમિશનરનાં સરર્ક્યુલર, આદેશોનો યોગ્ય અમલ કરતા ન હોવા છતાં તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા ન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જે ચર્ચાઓ ખરેખર સાચી હોય તેવી એક ઘટના સામે આવી છે.
શહેરના ગીચ વિસ્તાર પાનકોર નાકા પાસે આવેલ સૂરજમુખી કોમ્પ્લેક્સમાં રમકડા બજારના એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગને પગલે આસપાસમાં આવેલી કટલરીની દુકાન, સોનીની દુકાન, વાસણો સહિત ૨૫ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી, બાજુમાં આવેલી સોનીની દુકાનમાં ગેસના ત્રણ બાટલા ફાટ્યા હતા, તેમજ રમકડાની બેટરીઓમાં પણ બ્લાસ્ટ થતા તે હવામાં ફંગોળાઈ હતી. કહેવાય છે કે પાનકોર નાકાની ગલી, સાંકળી હોવાથી ત્યાં દબાણો અને વાહનો પાર્ક કર્યા હોવાથી ફાયરને જવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી.

આ સમગ્ર ઘટના પછી તંત્ર કાયમની માફક ઘોડા છૂટ્યા પછી, તબેલાને તાળા મારવાની હાસ્યસ્પદ જાહેરાત કરી જણાવી રહ્યુ છે કે કોમર્શિયલ યુનિટમાં ગેસ અથવા તો અન્ય કોઈ જ્વેલન્સીલ સામગ્રીનો સંગ્રહ કરાતો હશે, તેવા એકમોની તપાસ શરૂ કરી છે.
તપાસ શું કરવાની ? તંત્રના જવાબદાર અધિકારી – કર્મચારીઓ જાણે જ છે કે ખાડિયા વિસ્તારમાં રેસીડેન્સી ની મિલકતોમાં ૮૦ ટકા કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે ! આ કોમર્શિયલ ઉપયોગમાં મોટાભાગની મિલકતોમાં ગેસના બાટલા અને જલનશીલ પદાર્થનો પણ ઉપયોગ થઈ રહ્યો છે ! જેમાં ખેત્રપાળની પોળમાં, લુહારની પોળમાં, સોનીની ખડકીમાં, બંધારાના ખાંચામાં, દહીંની ખડકીમાં, દેડકાની પોળમાં, રૂપાસુચરની પોળમાં, લુહારની પોળમાં, ગુસાપરેખની પોળમાં, મોચીની ખડકીમાં સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ આવેલી છે જેમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો બેફામ ઉપયોગ થઈ રહ્યો હોવાની માહિતી અને હકીકતથી તંત્રને જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરી વાકેફ કરવામાં આવેલ છે.

પરંતુ દુઃખની વાત એ છે કે મ્યુનિસિપલ કમિશનર અને ડીવાયએમસી કક્ષાના અધિકારીઓને લેખિતમાં ફરિયાદો કરવા છતાં ઝોનના અને વોર્ડના અધિકારી – કર્મચારીઓ કાયદાનો અમલ કરતા નથી ! આ કાયદાનો અમલ ન કરવા બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદો કરવા છતાં, જવાબદાર કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાતી ન હોવાથી !
આવા તત્વોને મોકળું મેદાન જવાબદાર કર્મચારીઓ જ આપી રહ્યા છે ! છેવટે આવી અઘટિત ઘટનાઓ બને, તેમાં નિર્દોષ પ્રજા ભોગ બની રહી છે, ત્યારે તંત્રમાં ચાલતી આ કાગળની કાર્યવાહી કરવા બાબતની નાટકીય પ્રવૃત્તિને બંધ કરવા માટે ઝોન અને વોર્ડના કર્મચારીઓ વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનર બનછાનિધી પાની દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે, તો કદાચ આ ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકી શકશે ! નહિતર આગામી સમયમાં કોઈ આવી ઘટના બને અને નિર્દોષ પ્રજાનો ભોગ લેવાય ! તો જવાબદાર કોણ ? તેવું જાગૃત પ્રજા મનોમંથન કરી રહી છે.
માટે તાકીદે ખાડિયા વિસ્તારમાં રેસીડેન્સી મકાનોમાં જે જે કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી છે તેઓ વિરુદ્ધ તાકીદે કાર્યવાહી હાથ ધરાય તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે…