
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ શહેરમાં કોઈપણ નાગરિકે હોટલ, ગેસ્ટ હાઉસ કે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવો હોય તો કાર્યક્ષેત્રના પોલીસ અધિકારીનો પરવાનો મેળવવાની કાયદાકીય જોગવાઈ છે. આવા પરવાના આપવા માટેના નિયમો ઘડવાની સત્તા બોમ્બે પોલીસ એક્ટ ૧૯૫૧ ની કલમ ૩૩(૧) અન્વયે પોલીસ કમિશનર અને કલેક્ટરને મળેલ છે, જે અંતર્ગત પરવાના આપવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં આવેલ હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ રેસ્ટોરન્ટોમાં પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થો શુદ્ધ અને સાત્વિક હોય, જગ્યા સ્વચ્છ અને સુઘડ હોય, જાહેર પ્રજાના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની ખાસ કાળજી આ કાયદાની જોગવાઈના આધારે લેવામાં આવે છે.

આમ પ્રદૂષણ, ગંદકી ન ફેલાય, નાગરિકોને આરોગ્યપ્રદ આહાર મળી રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે તે માટે પરવાનાના નિયંત્રણના આધારે કડક જોગવાઈઓ કરવામાં આવેલી છે.
જન સમૃદ્ધિ ન્યુઝને મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં કાર્યરત અમુક હોટલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટના માલિકો પાસે પરવાનો છે અને અમુક લોકો પોલીસ પરવાના વિના કાયદાનો ભંગ કરી હાલમાં હોટેલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટો કોઈપણ જાતના કાયદાના ભય વિના ચલાવી રહ્યા હોવાની માહિતી મળેલ છે.

જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી જાહેર હિતને ધ્યાને લઈ તાકીદે અમદાવાદ શહેરમાં પોલીસ પરવાના વિના કાર્યરત હોટલો, ગેસ્ટ હાઉસો અને રેસ્ટોરન્ટો કાર્યરત છે તે તમામ એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના આદેશ પોલીસ કમિશનર આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.