
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા પત્રકારોના હિતની અને તેઓની કાર્યપદ્ધતિ પ્રમાણે જે મળવાપાત્ર સેવાઓ હોય તે સેવાઓ પત્રકારોને મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે, અને આગામી દિવસોમાં પણ બને તેટલું પ્રયત્નશીલ રહેશે. પત્રકાર એકતા પરિષદ ભેદભાવ વિનાનું લગભગ ૧૦,૦૦૦ પત્રકારોનું તાલુકા કારોબારી, જિલ્લા કારોબારી, ઝોન, પ્રદેશ અને મહિલા વિંગ તેમજ લીગલ વીંગ સાથેનું શિસ્તબધ્ધ સંગઠન છે.
અમદાવાદ મહાનગર પાલિકામાં રિપોર્ટિંગ કરતા લઘુ અખબારોના પત્રકારો માટે ચોક્કસ નીતિ નિયમો ઘડીને એક સૂત્રતા જળવાય તે માટે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પબ્લિસિટીને તારીખ ૨૭-૦૨-૨૪ના રોજ વિનંતી પત્ર આપેલ છે.
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા પત્રકારોને સ્પોર્ટ સંકુલો, જીમખાના, સ્વિમિંગ પૂલ, રમતગમતના મેદાનો તેમજ અન્ય સ્પોર્ટ્સ ને લગતી પ્રવૃત્તિ કરવા અને પ્રજામાં જાગૃતિ લાવવા પત્રકારોને આ સેવાઓ વિના મૂલ્યે મળી રહે તે અંગે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં લઘુ અખબારોને વિના મૂલ્યે સેવાઓ મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવા અંગે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પ્રેસ રૂમની સગવડ છે તેવી જ રીતે દરેક ઝોનની ઓફિસમાં પ્રેસ રૂમ ની વ્યવસ્થા આપવા અંગે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ડાયરીમાં પોલિસી બનાવી લઘુ અને દૈનિક અખબારો, ન્યુઝ ચેનલો, પોર્ટલોની નામાવલી ડાયરીમાં પ્રસિદ્ધ કરવા અંગે, મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને તારીખ ૩૧-૦૩-૨૫ના રોજ ઈમેલથી ઉપરોક્ત તમામ સેવાઓ પત્રકારોને મળી રહે તે અંગે હકારાત્મક નિર્ણય લઇ હુકમો – પરિપત્રો કરવા વિનંતી કરેલ છે.
પત્રકાર એક નીડર, નિષ્પક્ષ અને તટસ્થ રીતે કામગીરી કરી, સરકારની યોજનાઓ તથા વાતો પ્રજા સુધી સાચી રીતે પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે. સમાજમાં રહેલા દૂષણો કે ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોને જાહેરમાં ઉઘાડા પાડવાનું કામ સ્વ જોખમે કરે છે. આમ પત્રકાર એ સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુ છે એટલે કે સામાજિક કાર્યકર પણ કહી શકાય ! માટે જો નગરસેવકો (કાઉન્સિલરો) ને પ્રજાના પૈસે સરકારી લાભો આપવા અંગે ઠરાવો – પરિપત્રો કરવામાં આવે છે, તો નિસ્વાર્થ સેવા કરનાર પત્રકારોને પણ સરકારી લાભો મળી રહે, તે અંગે પોતાની નૈતિક જવાબદારી સમજી યોગ્ય નિર્ણય લેવાય તે જરૂરી.