Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ચોમાસા દરમ્યાન શહેરમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ.

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૬-૬-૨૪

અમદાવાદ…

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુ દરમ્યાન તા.૨૭.૦૫.૨૦૨૪ ના રોજથી સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.
ચોમાસાની સીઝનમાં ભારે કે અતિભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વરસતા વરસાદના સંજોગોમાં ઝાડ પડવાના, રસ્તા બેસી જવાના, બ્રેક ડાઉન, ભયજનક મકાનો પડી જવાના, હોર્ડિંગ્સ પડી જવાના, નિંચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા જેવી સમ્સ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત જુદા જુદા ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી., બગીચા ખાતે તેમજ એસ્ટેટ વિભાગની ફરિયાદોના નિવારણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત (૭) ઝોનમાં ત્રણેય શીફ્ટમાં મોનસુન કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવેલ છે.
મુખ્ય કંટ્રોલરૂમ ખાતેથી જુદા જુદા ઝોનના ૨૪ કંટ્રોલ રૂમો અને અન્ડરપાસોને વાયરલેસ સીસ્ટમ અને ઈન્ટરનેટ માધ્યમથી ડિઝીટલી કનેકટ કરવામાં આવેલ છે તેમજ વરસાદ માપવાના કુલ ૨૭ અદ્યતન ઓટોમેટીક રેઈન ગેજ મુકીને સુસજ્જ કરવાની કામગીરી હાથ ધરેલ છે. આ ઉપરાંત, તમામ કંટ્રોલરૂમ ઉપર સિનિયર કક્ષાના અનુભવી અને જાણકાર અધિકારીશ્રીઓ મારફત કંટ્રોલરૂમની કામગીરીનું ૨૪ કલાક મોનીટરીંગ / સુપરવિઝન કરી મહત્તમ ફરિયાદોનો નિકાલ થાય તે મુજબનુ આયોજન કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ઝોનમાં ઝોનલ લેવલે ડે.મ્યુનિસપલ કમિશનરશ્રીની સીધી દેખરેખ અને સુચના મુજબ ઈજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, હેલ્થ વિભાગ, બગીચા ખાતાના અધિકારીઓ તેમજ મજુર લેવલના સ્ટાફને ચોમાસા દરમ્યાન ઉભી થનાર આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરુરી આવશ્યક માલ સામાન, મેનપાવર તેમજ જુદી જુદી મશીનરીઓને વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રાખવામાં આવે છે.
સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે શરુ કરવામાં આવેલ મુખ્ય કંટ્રોલરૂમ દ્વારા જુદા જુદા ઝોનના કંટ્રોલરૂમોમાંથી દર બે કલાકે વરસાદની માહિતી / વરસાદના આંકડા મેળવવામાં આવે છે, ઉપરાંત વાસણા બેરેજ તથા ધરોઈ ડેમના લેવલ પણ મેળવવામાં આવે છે.
ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદભવતી સમસ્યાઓનો ત્વરિત નિરાકરણ થઈ શકે તે માટે શહેરીજનો મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ સહિત સાત (૭) ઝોનમાં શરુ કરવામાં આવેલ કંટ્રોલ રૂમમાં વ્હોટ્સઅપ WhatsApp સોશીયલ મિડીયાના માધ્યમથી મોનસુન સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે.


ચોમાસા દરમ્યાન શહેરમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ.