Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ૧.૧ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરતાં મેયર પ્રતિભાબેન જૈન..

જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૧૬-૦૯-૨૦૨૩- વિષ્ણુ પ્રજાપતિ

અમદાવાદ મહાનગર પાલિકામાં નવનિયુક્ત ચૂંટાયેલા હોદ્દેદારોમાં મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, ભાજપ નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ અને દંડક શીતલબેન ડાગાની આગેવાનીમાં તારીખ ૧૫-૯-૨૩ ના રોજ અમદાવાદ મહાનગર પાલિકામાં પ્રેસ કોન્ફરન્સ નું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. આ કોન્ફરન્સમાં તારીખ ૧૭-૯-૨૩ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જુદા જુદા સ્થળોએ એક જ દિવસમાં ૧.૧ લાખ વૃક્ષો લગાવવામાં આવશે અને આગામી 15 દિવસમાં અંદાજે કુલ ૫ લાખ વૃક્ષો લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે, તેવું મેયર પ્રતિભાબેન જૈને જણાવેલ હતું.

વધુમાં જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “મિશન ગ્રીન અમદાવાદ.. ક્લીન અમદાવાદ..” અભિયાન અંતર્ગત આજ સુધી કુલ 15.99 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હોવાની સાથે સાથે સ્વચ્છ ભારત મિશનની સાતમી વર્ષ ગાંઠની ઉજવણી નિમિત્તે “ઇન્ડિયન સ્વચ્છતા લીગ ૨.૦”, ” સ્વચ્છતા પખવાડા”, “સફાઈ મિત્ર સુરક્ષા સિવિર ” જેવી વિવિધ થીમ હેઠળ 15મી સપ્ટેમ્બર 2023 થી બીજી ઓક્ટોબર 2023 દરમિયાન અમદાવાદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરની પ્રથમ હરોળમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જન જાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરેલ હોવાનું જણાવેલ.

આજની આ પ્રેસમાં અગાઉના રાજકીય નેતાઓની ઓફિસની બહાર બ્લુ કલર થી પોતાના નામની પ્લેટો લગાવી હતી તેની જગ્યાએ હવે નવા ચૂંટાયેલા રાજકીય નેતાઓની ઓફિસની બહાર કેસરી રંગથી પોતાના નામની પ્લેટ લગાવી છે તે બાબતે પણ રજૂઆતો થઈ હતી.

ત્યારબાદ પત્રકારો દ્વારા મેયરને એક પછી એક પ્રશ્નો પૂછતા વધારે સમય પસાર થઈ શકશે તેવું બીજા અન્ય પત્રકારોને જણાતા, તેઓની બાઈટ પહેલા લઈ લેવા અને ત્યારબાદ પ્રશ્નો પૂછવા બાબતે પત્રકારોમાં ચકમક થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સવાલ એ થાય છે કે આવા દ્રશ્યો જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળે ત્યારે ખૂબ જ નિંદનીય ઘટના કહી શકાય ! માટે નવનિયુક્ત ચૂંટાયેલા હોદ્દેદારોએ જ્યારે અમદાવાદ મહાનગર પાલિકામાં કોઈપણ પ્રેસ થાય કે સ્ટેન્ડિંગ કમિટીની પ્રેસ થાય ત્યારે પ્રજાના પ્રશ્નોની સમસ્યા બાબતે જે કોઈ પત્રકારો રજૂઆતો કરે ત્યારે દરેકને જવાબ આપવો તે ચૂંટાયેલી પાંખની જવાબદારી બને છે, માટે હવે પછીથી પત્રકારોમાં અંદરો અંદર ચકમક ના થાય તે અંગે યોગ્ય આયોજનબદ્ધ વ્યવસ્થા જળવાય તેવી પત્રકાર જગતમાં ચર્ચાઓ સાંભળવા મળી હતી.


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ૧.૧ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરતાં મેયર પ્રતિભાબેન જૈન..