



વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…
તારીખ : ૧૦-૦૫-૨૦૨૩
અમદાવાદ શહેરના મધ્ય અને દક્ષિણ ઝોનના મોટાભાગના સેટિંગવાળા વિસ્તારોમાં મુવેબલ લારીરૂપી દબાણો કે જે સવાર, સાંજ અને રાત્રે ટેબલ ખુરશીઓ પાથરી કોર્પોરેશનની કોઈ પણ જાતની મંજૂરી વિના કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમજ આ દબાણોને કાયમી ધોરણે દૂર ન કરવા બાબતે મજૂરો, કર્મચારીઓ અથવા અસામાજિક તત્વો દરરોજની એક લારીના 50 થી ૧૦૦ રૂપિયા હપ્તો ઉઘરાવી રહ્યા હોવાથી.. તંત્રમાં વ્હાલા દવલાની નીતિ અખત્યાર થતી હોવાથી, સામાન્ય પ્રજા ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે અકસ્માતનો ભોગ પણ બનતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અમદાવાદ શહેરના ભદ્ર પ્લાઝા પરિસરમાં… એસટી સ્ટેન્ડની બહાર, ટ્રાફિક ચોકીની બાજુમાં, ગીતામંદિર ખાતે.. મણીનગર ચાર રસ્તા, સિંધી માર્કેટ, ગોપાલ તવારની બાજુની ગલીમાં અને ઉત્તમ નગરના જાહેર માર્ગો તેમજ ફૂટપાથો ઉપર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે તે આપ ફોટોગ્રાફીમાં નિહાળી રહ્યા છો.
તંત્ર દ્વારા દરરોજ દબાણો ઉપાડવાના સમાચારો પ્રસિદ્ધ થાય છે અને કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ હકીકત એવી જાણવા મળેલ છે કે જ્યાં હપ્તા રૂપી પ્રસાદ મળી રહે છે, તેવી જગ્યાઓ ઉપરથી દબાણો દૂર કરાતા નથી… અને કરાય છે તો ફરી પાછું સેટિંગ કરી દબાણો ઊભા રાખતા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ગેરકાયદેસર હપ્તો ઉઘરાવતા ઈસમો વિરુદ્ધ તેમજ જાહેર રોડ અને ફૂટપાથો ઉપરના દબાણોને કાયમી ધોરણે દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવા બાબતે રજૂઆતો અને અહેવાલો પ્રસિદ્ધ કરેલ છે તેમ છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં બિરાજેલા ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી ના હાલે તો સમજવું શું ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય અને દક્ષિણ ઝોનમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર રોડ અને ફૂટપાથો ઉપરના દબાણોને કાયમી ધોરણે દૂર કરી.. કાયદાનો અમલ કરે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.