વિષ્ણુ પ્રજાપતિ દ્વારા – તા. ૨૯-૦૪-૨૦૨૩
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દરિયાપુર વોર્ડમાં એક સાથે ચાર ચાર ગેરકાયદેસર બિલ્ડીંગોને દૂર કરી ખૂબ જ સારી કામગીરી હાથ ધરેલ છે.
કહેવાય છે કે ખાડિયા એક અને બે વોર્ડમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો પરિપૂર્ણ થઈ, હાલમાં વપરાશ ચાલુ થઈ ગયેલ છે તેમજ રેસિડેન્સીના પ્લાન મંજૂર કરાવી.. હાલમાં અસંખ્ય કોમર્શિયલ વપરાશ કરતા અનેક એકમો ધમધમી રહ્યા છે ! તેમ છતાં જવાબદાર અધિકારીઓ યોગ્ય કાર્યવાહી હાથ ધરતા ન હોવાની બુમરાડ સાંભળવા મળી રહી છે.
હાલમાં ખાડિયા એક અને બે વોર્ડમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો કાર્યરત હોવાનું જાણવા મળેલ છે જેમાં વેરાઈપાડાની પોળમાં, નાના સુથારવાડામાં, સારંગપુર માંડવીની પોળમાં, નાનસા જીવણની પોળમાં, ત્રણ દરવાજા પાસે આવેલ ગલીમાં ગેરકાયદેસર બાંધકામો મ્યુનિસિપલ કમિશનરના આદેશની અવગણના કરીને કાર્યરત હોવાનું જાણવા મળેલ છે, કહેવાય છે કે ખાડીયા ૧ અને ખાડિયા ૨ વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા આડકતરી રીતે આવા ગેરકાયદેસર બાંધકામોને પ્રોત્સાહન આપી રહ્યા હોવાનું પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા વહાલા દવલાની નીતિ અખત્યાર કરી.. સત્તાનો દૂર ઉપયોગ જવાબદાર અધિકારીઓ કરતા હોય તેવો અહેસાસ જાગૃત નાગરિકો અનુભવી રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાડિયા ૧ અને ૨ વોર્ડના અગાઉ પરિપૂર્ણ થયેલ ગેરકાયદેસર બાંધકામો અને રેસીડેન્સીની મંજૂરી મેળવી હાલમાં કોમર્શિયલ ઉપયોગ કરતા એકમો વિરુદ્ધ તેમજ કમ્પ્લીસન સર્ટી મેળવ્યા વિના વપરાશ કરતા એકમોને તાકીદે સીલ કરવાના આદેશ આપે, તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.