જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.
જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા દરિયાપુર રૂપાપરીની પોળમાં, કુંભારના ખાંચામાં આવેલ મોટી ગટર ભરાઈ ગયેલ હોવાંથી આ ગટર સાફ કરવા માટે ઓન લાઈન ફરિયાદ કરેલ હતી, આ ફરિયાદ નો સમયસર નિકાલ કરવાની જગ્યાએ, કોઈ પણ કામગીરી કર્યા વગર આ ફરિયાદ કલોઝ કરી દેવામાં આવી હોવાના સજ્જડ પુરાવા જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામેલ છે.
દરિયાપુર વોર્ડ ઓફિસમાં અગાઉ પણ કોઈ પણ જાતની કામગીરી પૂર્ણ કરી ન હોવા છતાં ફરિયાદ કલોઝ કરી દેતા.. વોર્ડ ના રવિભાઈ વાગડિયાને જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રીશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા રૂબરૂ જઈને મૌખિક ફરિયાદ કરતા જણાવેલ કે હવે ધ્યાન રાખીશું ફરીથી આવું નહિ થાય.. પરંતુ બેજવાબદાર કર્મચારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ના ધરાતા આજે ફરીથી આવો કિસ્સો સામે આવ્યો છે.
દરિયાપુર વોર્ડમાં ઇજનેર વિભાગની કામગીરીને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ ઓનલાઈન નોંધાવાયેલી ફરિયાદોનો યોગ્ય નિકાલ કર્યા વગર જ સિસ્ટમમાં ક્લોઝ કરી દેવામાં આવી રહી છે. રસ્તાઓના ખાડા, ગટર ઓવરફ્લો અને પાણી પુરવઠા જેવી મૂળભૂત સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆત છતાં હકીકતમાં કોઈ કામ કરવામાં આવતું નથી, પરંતુ રેકોર્ડમાં “સમસ્યા ઉકેલાઈ” બતાવવામાં આવે છે.
આ મામલે વિસ્તારના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સામે કડક વલણ અપનાવ્યું છે. તેઓનું કહેવું છે કે આવી બેદરકારી માત્ર નાગરિકોને મુશ્કેલીમાં નથી મૂકતા, પરંતુ સરકારી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન મૂકે છે. ઓનલાઈન ફરિયાદ પ્રણાલી લોકોની સુવિધા માટે બનાવવામાં આવી છે, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો ગંભીર છે.
નાગરિકોએ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. લોકોનું કહેવું છે કે જો સમસ્યાઓનો વાસ્તવિક નિકાલ નહીં કરવામાં આવે અને માત્ર કાગળ પર કામ પૂરું બતાવવામાં આવશે, તો આવનારા સમયમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ મામલો હવે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે અને વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સર્વત્ર માંગ ઉઠી રહી છે.
