જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન આ વખતે 22 જાન્યુઆરી 2026ને ગુરુવારે થયું હતું. જેમાં શહેરનાં વિકાસ અંગેનાં મહત્વનાં નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ, સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ મિડીયા સાથે આ ખાસ મુદ્દાઓની વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનમાં ખાસ કરીને પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનની અંદર વિવિધ ચાલીઓ આવેલી છે. ત્યાં, મહાનગરપાલિકા દ્વારા RCC રોડ, પેવર બ્લોક, પાણી, ગટરની સુવિધા આપવામાં આવી હતી. અત્યારસુધી, અહીં લાઈટની સુવિધાનો અભાવ હતો. પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લગભગ 27 હજાર ચાલીઓ કે જેમાં અઢીથી ત્રણ લાખ લોકો રહે છે તેમના જીવનમાં નવી રોશની ઉમેરાશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અઢીથી ત્રણ કરોડના ખર્ચે આ ચાલીઓની અંદર 9 મીટરની ઉંચાઈના લાઈટના પોલ નાંખી ત્યાં અજવાળુ કરવામાં આવશે.
આ ઉપરાંત કેન્સરની સારવાર વિશે ચેરમેનશ્રી દેવાંગ દાણીએ જણાવ્યું કે,
અમદાવાદ મહાનગરપાલિકાની SVP, એલ.જી અને શારદાબેન સહિતની અલગ-અલગ હોસ્પિટલો આવેલી છે. SVP હોસ્પિટલની અંદર મેમોગ્રાફી કેન્સરનું પ્રાઈમરી સ્ટેજનું નિદાન કરવામાં આવે છે.એવી જ રીતે ઓરલ કેન્સરની માત્રા દિવસે-દિવસે વધતી જાય છે, મહાનગરપાલિકા સંચાલિત 9 જેટલા CHC સેન્ટર સાતેય ઝોનમાં આવેલા છે.ત્યાં, ઓરલ કેન્સરની પ્રાથમિક સુવિધા ઉભી થાય તે માટેનું આયોજન કરવામાં આવશે.પ્રાથમિક સ્ટેજ પર કેમેરા દ્વારા મોંઢાની અંદર તપાસ કરવાથી કેન્સર છે કે નહીં તેનું ગ્રીન સિગ્નલ મળશે અને બાયોપ્સીની જરૂર લાગે તો રેડ સિગ્નલ બતાવશે.કોઈ પણ વ્યક્તિમાં આ કેન્સર આગળ વધતુ અટકે અને પ્રાયમરી સ્ટેજ પર જ તેનું નિદાન થાય તે માટેની સુવિધા આગામી સમયમાં ઉભી કરવામાં આવશે.
